Thursday, August 18, 2011

રાશિ અનુસાર કાલસર્પ યોગનો ફળાદેશ




કાલસર્પ યોગ દરેક રાશિ (લગ્ન)માં અલગ અલગ પ્રકારનું ફળ આપે છે તથા કાલસર્પ યોગમાં વિશિષ્ટ ગ્રહ સ્થિતિનું મિશ્રિત ફળ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિઓમાં વિભિન્ન વ્યક્તિઓને કઈ કઈ વિશિષ્ટ ઉપલબ્ધિઓ મળે છે અથવા વ્યક્તિ કઈ વિષમ પરિસ્થિતિઓમાં ફસાયેલી રહી જાય છે તેનું વિવેચન રાશિ પ્રમાણે આ મુજબ છે.

મેષ-વૃશ્ચિક રાશિ

મેષ-વૃશ્ચિક એ બંને રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિની કુંડળીઓમાં કાલસર્પ યોગ સર્જાતો હોય તો આવા જાતકને નોકરીમાં સંતુષ્ટિ મળતી નથી અને વ્યાપારમાં સ્થિરતા મળતી નથી. નોકરી અને વ્યાપારમાં સતત ચઢાવ-ઉતાર જોવા મળે છે. ઉત્તરોત્તર સંઘર્ષોના કારણે તેમનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. જીવનભરની આજીવિકાની કમાણીનો કોઈ નક્કર માર્ગ મળતો નથી. અસંતોષ અને બેચેની વધારનારાં કેટલાંય કારણો જાતે જ પેદા થતાં રહે છે. ટૂંકમાં જીવન અશાંત અને નિરાશાભર્યું રહે છે.

વૃષભ-તુલા રાશિ

વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે. વૃષભ અને તુલા રાશિની કુંડળીમાં કાલસર્પ યોગ સર્જાતો હોય તો આવો જાતક પોતાના રોજગારના વિષયમાં મોટે ભાગે ચિંતાતુર રહે છે. તેને ડર રહ્યા કરે છે કે, રોજગારનું સાધન શું તેના હાથમાં છે? શી ખબર તે સાધન હાથમાંથી ક્યારે નીકળી જશે! આવા ભયગ્રસ્ત વિચારો આવ્યા કરે છે. જાતકને વિશ્વાસ નથી થતો કે, તે પોતાના ધ્યેય સુધી પહોંચી શકશે કે નહીં. જ્યારે ધ્યેયપ્રાપ્તિ સુધી પહોંચવા માટે માત્ર બે-ચાર કદમ જ આગળ ધપાવવાની જરૂર હોય તેવા સમયે આત્મવિશ્વાસ ઓછો હોય છે અને તે પણ અચાનક અશાંત અને બેચેન બની, ગભરાઈને પોતાના સ્થાને પાછો ફરે છે.

મિથુન-કન્યા રાશિ

મિથુન-કન્યા રાશિનો સ્વામી બુધ છે. મિથુન અને કન્યા રાશિની કુંડળીમાં કાલસર્પ યોગ સર્જાતો હોય તો આવા જાતક નોકરીમાં ઊંચું પદ પ્રાપ્ત કરવાનાં દિવાસ્વપ્નો જરૂર જોતો હોય છે, પરંતુ તેમાં તેને સફળતા મળતી નથી. સ્ટીલ ર્ફિનચરનો વ્યાપાર અથવા કોઈ અન્ય કારખાનાં શરૂ કરે તો તેમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજીવિકા માટેની આવક પણ માંડ માંડ મળે છે. ખરીદ-વેચાણ કમિશન એજન્સી, દલાલીનું કાર્ય કરે તો દર વખતે કમાયેલો નફો એક જ વખતના સપાટામાં સાફ થઈ જાય છે. કાગળ, કપડાં, અનાજ, કરિયાણું, ઘરઉપયોગી સામગ્રી, હોટેલ-મોટેલ, રેસ્ટોરાં વગેરેના વ્યાપારમાં સફળ થતો જોવા મળે છે, પરંતુ શ્રેષ્ઠજનોને તેના વર્તનને કારણે વારંવાર કષ્ટ ઉઠાવવું પડે છે અને ક્યારેક તેમના શાપથી તેને નુકસાન પણ થાય છે.

કર્ક રાશિ

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. કર્ક રાશિની કુંડળીમાં કાલસર્પ યોગ સર્જાતો હોય તો આવો જાતક સફળતાપૂર્વક નોકરી કરી શકતો નથી. ડોક્ટર, વકીલ, જ્યોતિષી, ટયૂટર, કલાકાર વગેરે સ્વતંત્ર કાર્યોમાં વિશેષજ્ઞા બનીને પૂરતાં નાણાં કમાય છે છતાં પણ તે શરીરથી અસ્વસ્થ અને પરિવારથી અસંતુષ્ટ રહે છે. ચતુરાઈ, ચાલાકી અને તકના લાભથી તે હંમેશાં પોતાનો હાવભાવ બદલતો કાર્ય કરતો રહે છે. ચોફેર તેને પ્રતિષ્ઠા મળે છે. જો તે દાન-પુણ્ય કરતો રહે તો તેના હાથમાં થોડું ઘણું ધન ટકી રહે છે.

સિંહ રાશિ

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. સિંહ રાશિની કુંડળીમાં કાલસર્પ યોગ સર્જાતો હોય તો આવો જાતક પોતાની આજીવિકા અને પરિવારને માટે સદા ચિંતાતુર રહે છે. પોતાના વ્યવસાયમાં વારંવાર તેજીનો લાભ તેને મળે છે, પરંતુ ક્યારેક એવો પણ પ્રસંગ આવી પડે છે કે, મંદી વખતે એક જ ઝાટકે કમરતોડ નુકસાન પહોંચે છે. તેની મૂડી ધીરે ધીરે વધતી દૃષ્ટિગોચર થાય છે, પરંતુ એક ઝાટકે તેના સૂપડાં સાફ પણ થઈ જાય છે. આવો જાતક નોકરી કરવાનું પસંદ કરતો નથી, પરંતુ પરિસ્થિતિથી લાચાર બની થોડા સમયને માટે પણ તેને પરાધીનતાનો સ્વીકાર કરવો પડે છે. પારિવારની એકતા જાળવી રાખવી એ તેની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે. તે દૃઢપ્રતીજ્ઞા, કઠોર અને જિદ્દી પણ હોય છે.

ધન-મીન રાશિ

ધન-મીન રાશિનો સ્વામી ગુરુ છે. ધનુ અને મીન રાશિની કુંડળીમાં જો કાલસર્પ યોગ સર્જાતો હોય તો આવા જાતક પરાધીન કાર્યમાં અથવા નોકરીમાં સફળ થતો નથી. બહારની વ્યક્તિની મદદથી તે સ્વતંત્ર કાર્યમાં પોતાનું મૂળ સુદૃઢ કરે છે, પરંતુ ઘરના કોઈ ષડયંત્રનો શિકાર બનીને નિષ્ફળ પણ થાય છે. દલાલી, કમિશન એજન્સી અથવા કન્સલ્ટન્સી અને રાજકારણમાં આવો જાતક પદ અને પ્રતિષ્ઠા મેળવે છે. સમાજમાં પણ બહુર્ચિચત બની રહે છે, પરંતુ પોતાના સંકોચશીલ સ્વભાવને કારણે ધનનો અભાવ બની રહે છે.

કમાયેલું ધન પણ ખોવાઈ જાય છે. પરિણામે જીવન ખૂબ જ સંઘર્ષમય હોય છે. માથામાં દુખાવો હોય તો પણ તે પોતાના ચહેરા પર સ્મિત લઈને ફરે છે. બીજાઓનો ઉપકાર કરવાને માટે હંમેશાં તત્પર રહે છે. તે પરોપકારી હોય છે, પરંતુ પરોપકારથી અપયશ પણ મળે છે.

મકર-કુંભ રાશિ

મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે. મકર અને કુંભ રાશિમાં કાલસર્પ યોગ બનતો હોય તો આવા જાતકને વિદેશમાં રહેવાની તક મળે છે. સાથે દેશ કરતાં પરદેશમાં વધુ સફળતા પ્રાપ્ત કરે છે. પત્ની અને બાળકો તરફથી અશાંત તથા અતૃપ્ત રહે છે. પૈતૃક સંપત્તિનો યોગ્ય લાભ તેને મળતો નથી. તે પોતે સંપત્તિ ભેગી કરે છે, પરંતુ તેનાથી તે પોતે અને પોતાના પરિવારને સંતુષ્ટ કરી શકતો નથી. ખનિજ, પેટ્રોલિયમ, એસિડ, કોલસા, દવાઓ, કેમિકલ વગેરેમાં નોકરી અથવા વ્યાપાર કરીને સારી સફળતા મેળવે છે, પરંતુ એક વખત જીવનમાં એવો ઝટકો લાગે છે સઘળી કમાણી ડૂબી જાય છે.

No comments:

Post a Comment