Thursday, August 18, 2011
કુંડળીનાં બાર સ્થાનમાં સૌથી મહત્ત્વનું : લગ્ન સ્થાન
ભારતીય જ્યોતિષમાં કુંડળીના પહેલા ઘરને લગ્ન ઘર (સ્થાન) અથવા લગ્ન પણ કહેવામાં આવે છે તથા વૈદિક જ્યોતિષ અનુસાર તેને કુંડળીનાં બારે ઘરોમાં સૌથી વધારે મહત્ત્વપૂર્ણ ઘર માનવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિના જન્મ સમયે જેમના જન્મ સ્થળે આકાશમાં જે રાશિનો ઉદય થતો હોય તેને જ તેનું લગ્ન માનવામાં આવે છે તથા આ લગ્ન કે લગ્ન રાશિને તે વ્યક્તિની જન્મકુંડળી બનાવતી વખતે પહેલાં ઘરમાં સ્થાન આપવામાં આવે છે. ત્યારબાદ આવનારી રાશિઓને જન્મકુંડળીમાં ક્રમશઃ બીજા, ત્રીજા, બારમા ઘરોમાં સ્થાન આપવામાં
આવે છે.
ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિના જન્મ સમયે આકાશમંડળમાં મેષ રાશિનો ઉદય થઈ રહ્યો હોય તો મેષ રાશિ તે વ્યક્તિનું લગ્ન કહેવાશે તથા તેને તે વ્યક્તિની જન્મકુંડળીના પહેલા ઘરમાં સ્થાન આપવામાં આવશે તથા મેષ રાશિ પછી આવનારી રાશિઓ વૃષભથી લઈને મીન સુધી ક્રમશઃ બીજાથી લઈને બારમા ઘર સુધી સ્થાન આપવામાં આવે છે.
કોઈ પણ કુંડળીમાં લગ્ન ઘર અથવા પ્રથમ ઘરનું મહત્ત્વ સૌથી વધારે હોય છે. જાતકના જીવનનાં લગભગ બધાં જ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર આ ઘરનો પ્રભાવ જોવા મળે છે. જાતકનો સ્વભાવ તથા ચરિત્ર વિશે જાણવા માટે પ્રથમ ઘર વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ઘરથી જાતકનું આયુષ્ય, સ્વાસ્થ્ય, વ્યવસાય, સામાજિક પ્રતિષ્ઠા તથા અન્ય ઘણાં મહત્ત્વનાં ક્ષેત્રો વિશે જાણકારી મેળવી શકાય છે. કુંડળીનું પ્રથમ ઘર શરીરનાં અંગોમાં માથું, મગજ તથા તેની આજુ-બાજુના ભાગોને દર્શાવે છે. આ ઘર પર કોઈ પણ ખરાબ ગ્રહનો પ્રભાવ શરીરનાં આ અંગો સાથે સંબંધિત રોગ, ઘા લાગવો તથા મુશ્કેલીઓનું કારણ બની શકે છે.
કુંડળીનું પ્રથમ ઘર આપણને પાછલા જન્મોમાં સંચિત કરેલાં સારાં-ખરાબ કર્મો તથા વર્તમાન જીવનમાં આ કર્મોને કારણે મળનારાં ફળ વિશે પણ જણાવે છે. આ ઘર વ્યક્તિની સામાજિક પ્રાપ્તિઓ તથા તેમના વ્યવસાય અને જીવનમાં તેમના પોતાના પ્રયત્નોને કારણે મળનારી સફળતાઓ વિશે જણાવે છે.
પ્રથમ ઘર દ્વારા વૈવાહિક જીવન, ભૌતિક સુખોનો ભોગ, બૌદ્ધિક સ્તર, માનસિક વિકાસ, સ્વભાવની કોમળતા કે કઠોરતા તથા અન્ય ઘણાં વિષયો અંગે જાણકારી મેળવી શકાય છે. પ્રથમ ઘર જાતકના સ્વાભિમાન તથા અહંકારની સીમા દર્શાવે છે. પ્રથમ ઘર પર એક અથવા એકથી વધારે ખરાબ ગ્રહોનો પ્રભાવ જાતકના જીવનમાં લગભગ કોઈ પણ ક્ષેત્રમાં સમસ્યાનું કારણ બની શકે છે તથા કુંડળીના પ્રથમ ઘર પર એક અથવા એકથી વધારે સારા ગ્રહોનો પ્રભાવ જાતકના જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં મોટી સફળતાઓ, ઉપલબ્ધિઓ તથા ખુશીઓનું કારણ બની શકે છે. તેથી કોઈ પણ જાતકની કુંડળી જોતી વખતે તેની કુંડળીના પ્રથમ ઘર તથા તેની સાથે જોડાયેલાં સઘળાં તથ્યો પર ખૂબ જ ધ્યાનપૂર્વક વિચાર કરવો જોઈએ.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment