Thursday, August 18, 2011

પિતાનો પ્રતિનિધિ ગ્રહ સૂર્ય દેવ




જાતકની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો તે સામાન્ય રીતે સમાજમાં વિશેષ પ્રભાવ ધરાવનાર હોય છે તથા પોતાની સંવેદનાઓ અને ભાવનાઓ પર સારો અંકુશ રાખી શકવા માટે સક્ષમ હોય છે

ભારતીય વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યને સમસ્ત ગ્રહોનો રાજા માનવામાં આવે છે અને તેને સમસ્ત પ્રાણીજગતને જીવન પ્રદાન કરનારી ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. સૂર્યને જ્યોતિષમાં પુરુષ ગ્રહ માનવામાં આવે છે. દરેક રાશિની કુંડળીમાં સૂર્યને જાતકના પિતાનો પ્રતિનિધિ માનવામાં આવે છે. જે તે જાતકના પૃથ્વી પર જન્મ લેવાનો કારક છે. તે જ રીતે સૂર્યને આ પ્રાણીજગતને ચલાવનાર પ્રત્યક્ષ દેવતા સ્વરૂપ માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્યને કુંડળી ધારણક એટલે કે જેની કુંડળી છે તે જાતકના પૂર્વજોનો પ્રતિનિધિ માનવામાં આવે છે, કારણ કે કુંડળી ધારકના પિતા તેના માટે આ સંસારમાં આવવાના પ્રત્યક્ષ કારક હોય છે. તેથી સૂર્ય પર કોઈ પણ કુંડળીમાં એક અથવા એકથી વધારે ખરાબ ગ્રહોનો પ્રભાવ હોય તો કુંડળીમાં પિતૃ દોષનું નિર્માણ થાય છે. જે જાતકના જીવનમાં વિવિધ પ્રકારનાં કષ્ટ અને સમસ્યાઓ પેદા કરવામાં સક્ષમ હોય છે.

પિતા તથા પૂર્વજો સિવાય સૂર્યને રાજાઓ, રાજ્યો, પ્રદેશો તથા દેશના પ્રમુખ, ઉચ્ચ પદ પર આસીન સરકારી અધિકારીઓ, સરકાર, રાજકારણીઓ તથા પોલીસ અધિકારીઓ, ડોક્ટરો તથા તેવી બીજી ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓનો પ્રતિનિધિ માનવામાં આવે છે. સૂર્યને જાતકના આત્માનો, જીવનદાયીની શક્તિનો, ઇચ્છાશક્તિનો, રોગપ્રતિકારક શક્તિનો, આંખોના તેજનો, સંતાન પેદા કરનારી શક્તિનો, નેતૃત્વ કરવાની ક્ષમતા તથા અધિકાર તથા નિયંત્રણ કરનારી શક્તિનો પ્રતિનિધિ માનવામાં આવે છે.

જાતકના શરીરમાં સૂર્ય પિત્તવૃત્તિનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે સૂર્ય ગ્રહના સ્વભાવ તથા અધિકારમાં અગ્નિ તત્ત્વ હોય છે. બાર રાશિઓમાં સૂર્ય અગ્નિ રાશિઓ (મેષ, સિંહ તથા ધન)માં સ્થિત થઈને બળવાન બની જાય છે તથા મેષ રાશિમાં સ્થિત હોય તો સૂર્યને સૌથી વધારે બળ પ્રાપ્ત થાય છે અને તેને કારણે જ આ રાશિમાં સૂર્યને ઉચ્ચનો માનવામાં આવે છે. મેષ રાશિ સિવાય સૂર્ય સિંહ રાશિમાં આવેલો હોય તો પણ તે બળવાન બની જાય છે, આ રાશિ સૂર્યની પોતાની રાશિ છે. સૂર્ય ધન રાશિમાં પણ બળવાન હોય છે અને આ રાશિના સ્વામી ગુરુ છે. જે જાતકોની જન્મકુંડળીમાં સૂર્ય બળવાન તથા કોઈ પણ ખરાબ ગ્રહના પ્રભાવથી રહિત હોય એવા જાતકો સામાન્ય રીતે જીવનભર સ્વસ્થ રહે છે, કારણ કે સૂર્યને નિરોગી રહેવાની ક્ષમતાનો પ્રતીક માનવામાં આવે છે. કુંડળીમાં સૂર્યના બળવાન હોવાથી જાતકની પ્રતિરોધક ક્ષમતા સામાન્ય કરતાં અનેકગણી વધારે હોય છે તથા આ જ કારણથી તેને કોઈ રોગ સતાવતો નથી. આવા જાતકોનું હૃદય બહુ સારી રીતે કામ કરે છે, જેને લીધે તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રીતે થાય છે. આવા લોકો શારીરિક રીતે ખૂબ જ તંદુરસ્ત હોય છે તથા સામાન્ય રીતે તેમના શરીરનું વજન પણ સામાન્યથી ખૂબ જ વધારે અથવા ખૂબ જ ઓછું થતું નથી. જોકે તેમાંથી કેટલાંક તથ્ય કુંડળીમાં બીજા ગ્રહોની શુભ અથવા અશુભ સ્થિતિની સાથે બદલાઈ પણ શકે છે.

જાતકની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો તે સામાન્ય રીતે સમાજમાં વિશેષ પ્રભાવ ધરાવનાર હોય છે તથા પોતાની સંવેદનાઓ અને ભાવનાઓ પર સારો અંકુશ રાખી શકવા માટે સક્ષમ હોય છે. આ પ્રકારના લોકો પોતાના જીવનના મોટાભાગના નિર્ણય તથ્યોના આધારે જ લે છે. તેઓ પોતે કરેલાં નિર્ણયો પર અડગ રહે છે, જેથી લોકો તેમને ઘણી વાર અભિમાની સમજી લે છે, પરંતુ વાસ્તવમાં તેઓ તર્કને આધારે લીધેલા પોતાના નિર્ણયનું પાલન કરી રહ્યા હોય છે. પોતાના આ ગુણોને કારણે જ આવા લોકોમાં સારા નેતા તથા ન્યાયાધીશ બનવાની ક્ષમતા હોય છે.

પુરુષોની કુંડળીમાં સૂર્યનું બળવાન હોવું તથા કોઈ ખરાબ ગ્રહથી રહિત હોય તો તેમને સ્વસ્થ તથા બુદ્ધિમાન સંતાન પેદા કરવાની ક્ષમતા પ્રદાન કરે છે. જે જાતકની જન્મકુંડળીમાં સૂર્ય બળવાન હોય તેઓ ઘણી જવાબદારીઓનું વહન કરનારા હોય છે, જેને કારણે જરૂરિયાત કરતાં વધારે કામ કરવાને કારણે ઘણી વાર તેમણે શારીરિક તથા માનસિક તણાવ પણ સહન કરવો પડે છે. આવા લોકો ખાસ કરીને પેટમાં વાયુ વિકાર જેવી સમસ્યાઓ તથા ત્વચા રોગથી પીડાતા હોય છે. તેનું કારણ સૂર્યનો અગ્નિ સ્વભાવ હોય છે, જેને કારણે પેટમાં કેટલાંક વિશેષ પ્રકારના વિકાર તથા લોહીમાં અગ્નિ તત્ત્વની માત્રા વધી જવાને કારણે ત્વચાસંબંધી રોગ પણ થઈ શકે છે.

બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓમાં સૂર્યનું બળ સામાન્યથી ઓછું થઈ જાય છે તથા આ બળ સૂર્યની તુલા રાશિમાં સ્થિત હોવાને કારણે સૌથી ઓછું થઈ જાય છે. આ જ કારણસર સૂર્યને તુલા રાશિમાં સ્થિત હોય તો નીચનો માનવામાં આવે છે. તુલા રાશિમાં સૂર્ય ખૂબ જ બળહીન બની જાય છે. આ સિવાય સૂર્ય કુંડળીમાં પોતાની સ્થિતિને કારણે તથા એક અથવા એકથી વધારે ખરાબ ગ્રહોના પ્રભાવમાં આવી જવાને કારણે પણ બળહીન થઈ જાય છે. આ બળહીનતા જાતક માટે સૌથી વધારે નુકસાનદાયક હોય છે. કોઈ કુંડળીમાં સૂર્ય તુલા રાશિમાં સ્થિત હોય તથા તુલા રાશિમાં જ સ્થિત અશુભ શનિના પ્રભાવમાં હોય તો આવી સ્થિતિમાં સૂર્યને ભારે દોષ લાગે છે, કારણ કે તુલા રાશિમાં સ્થિત હોવાને કારણે સૂર્ય બળહીન થઈ જાય છે તથા બીજી બાજુ તુલા રાશિમાં સ્થિત શનિને સૌથી વધારે બળ પ્રાપ્ત થાય છે. તુલા રાશિમાં સ્થિત શનિ ઉચ્ચનો થઈ જાય છે. આવી સ્થિતિમાં પહેલેથી જ બળહીન સૂર્ય પર સંપૂર્ણ રીતે બળવાન શનિ ગ્રહનો અશુભ પ્રભાવ સૂર્યને ખરાબ રીતે દૂષિત કરે છે, જેથી કુંડળીમાં ભયંકર પિતૃદોષનું નિર્માણ થાય છે. તેથી જાતકના જીવનમાં પ્રતિનિધિત્વમાં આવનારા સામાન્ય તથા વિશેષ, એમ બધાં જ ક્ષેત્રો પર દુષ્પ્રભાવ પડે છે. તેથી કોઈ પણ જાતકની કુંડળીનો અભ્યાસ કરતી વખતે કુંડળીમાં સૂર્યની સ્થિતિ, બળ તથા કુંડળીમાં બીજા શુભ તથા અશુભ ગ્રહોનો સૂર્ય પર પ્રભાવ ધ્યાનપૂર્વક કરવો જરૂરી છે.

No comments:

Post a Comment