Wednesday, August 31, 2011
કબજિયાત-મસા અને આંતરડાની બીમારી માટે કયા ગ્રહો જવાબદાર છે?
જ્યારે આઠમા સ્થાનમાં મંગળ બેસે ત્યારે ગુદા અને મોટા આંતરડાથી ગુદાના રસ્તા (રેકટમ) વચ્ચે એક અનિયમિત અને બિનજરૂરી ગરમી પેદા કરે છે જેના કારણે આંતરિક અને બાહ્ય મસા થાય છે અગર તો ક્યારેક આ મંગળ હરસ ભગંદર જેવા રોગને પણ નિમંત્રે છે.
જ્યારે શનિ અહીં બેસે ત્યારે મોટા આંતરડાની ગુદા તરફ મળ ધકેલવાની પ્રક્રિયાને મંદ બનાવે છે, ઉપરાંત તેમાં અવરોધ પેદા કરે છે. પરિણામ સ્વરૂપ આંતરડા અને ગુદા માર્ગ દ્વારા મળનો નિકાલ થતો નથી અને કચરો જમા થતો જ રહે છે જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ.
ગમે તેવો મોટો ખેલંદો રાજકારણી હોય પરંતુ જો ગ્રહો તેને મસા આપે તો ખુરશી છોડી ટ્રકના ટાયર પર બેસવું પડે.
હાસ્ય કવિ શૈલ ચતુર્વેદીએ એક હાસ્ય કવિ સંમેલનમાં કહેલું
ઉસકો કોઇ નહિ સકતા હસા જીસકો હુઆ હો મસા
આજથી એક વર્ષ પહેલાં એક ભાઇ અમને ઉદાસ અને રડમસ ચહેરે કુંડળી બતાવવા આવેલા. અમે એમને બેસવા ખુરશી આપી પણ ખુરશીનો તેમણે ખુશીપૂર્વક ઇનકાર કરી દીધો. ગાદલાના પલંગ પર તેઓ બિરાજમાન થયા પરંતુ દર મિનિટે તેઓ આઘાપાછા થાય અને સાથે સાથે તેમના ચહેરા પર બેચેની અને પીડાનો ભાવ આવે ને જાય. અમે તેમની કુંડળી જોવાની શરૂઆત કરી અને અમારી સૂક્ષ્મ દ્રષ્ટિ તેમના આઠમા ભાવ પર પડી. આઠમા ભાવમાં ધનનો મંગળ અને રાહુની યુતિ જોઇ અમે તેમને પૂછ્યું કે તમને મસાની બીમારી છે?
અમારો પ્રશ્ન તેમને ભારે પીડા આપી ગયો અને અમારા પ્રશ્નની ક્ષણ બે ક્ષણ બાદ તેમનું હૃદયદ્રાવક રુદન શરૂ થઇ ગયું. અમે તેમને આશ્વત કરી જ્યોતિષ અને આયુર્વેદના સમન્વય દ્વારા ઉપાય બતાવ્યા. આજે જ્યારે આ કિસ્સાની ચર્ચા આ વિભાગમાં થઇ રહી છે ત્યારે અમને આનંદ છે કે આપણા ઋષિમુનિઓએ શોધેલા અતિ મૂલ્યવાન વેદ, આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્રના સહારે એ ભાઇ મસાની પીડામાંથી મુક્ત છે.
આવો જ એક કિસ્સો એક બહેનનો છે કે જેમનો જન્મ ૧૯૬૨માં થયેલો. સાતમે મકરનો શનિ અને કેતુ બિરાજમાન છે, પરંતુ તે બહેનને ટોઇલેટના કમોડ પર ઓછામાં ઓછું અડધો કલાક બિરાજમાન રહેવું પડે છે કારણ કે સાતમે આવેલા શનિના કારણે તેમને કબજિયાતની ભારે બીમારી છે. એ હિન્દી ભાષી બહેન અમને કહે છે કે ભાઇસાબ ઇસ કબજિયાત કી વજહ સે કબ જીયા ઓર કબ નહિ જીયા માલૂમ હી નહી પડતા. એમની માનસિક પીડા અને આંખનાં આંસુ જોઇ લાગ્યું કે અમે તેમની કુંડળીનાં પાનાં નહીં પણ ડુંગળીનાં પડ ખોલ્યાં હોય. આમ આવી તો અસંખ્ય કુંડળીઓ અમારી પાસે છે કે જેમાં આઠમે મંગળ હોય અને સાતમે શનિ હોય તેવા જાતકો હરસ-મસા કે કબજિયાતની પીડાથી ત્રસ્ત હોય. આમ કેમ?
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને અગ્નિતત્વનો ગ્રહ ગણ્યો છે. મંગળનો રંગ પણ લાલ છે અને તે શરીરના લોહી અને હિમોગ્લોબીન સાથે સંકળાયેલો ગ્રહ છે. મંગળ સ્વભાવે અતિ ગુસ્સાવાળો તેજ અને જુસ્સાવાળો ગ્રહ છે. મંગળની ગતિ અતિ ઝડપી અને આક્રમક છે. શરીરમાં તે પિત્ત (એસિડિટી) કરે છે કારણ કે હોજરીના અગ્નિતત્વ સાથે તેનો સીધો સંબંધ છે. આઠમું સ્થાન જન્મકુંડળીમાં આંતરડાના અંતિમ માર્ગ અને ખાસ કરીને ગુદાનું છે.
જ્યારે આઠમા સ્થાનમાં મંગળ બેસે ત્યારે ગુદા અને મોટા આંતરડાથી ગુદાના રસ્તા (રેકટમ) વચ્ચે એક અનિયમિત અને બિનજરૂરી ગરમી પેદા કરે છે જેના કારણે આંતરિક અને બાહ્ય મસા થાય છે અગર તો ક્યારેક આ મંગળ હરસ ભગંદર જેવા રોગને પણ નિમંત્રે છે. આઠમે બેઠેલા મંગળ સાથે જો સૂર્ય બેસે તો અગ્નિતત્વ વધુ ભડકે છે અને તેના પરિણામ સ્વરૂપ ક્યારેક આ મસામાંથી ભારે રક્તસ્રાવ શરૂ થઇ જાય છે.
હવે આપણે કબજિયાત વિશે વિચારીએ. આયુર્વેદમાં કહેવત છે ‘કબજિયાત કરતાં કજિયા સારા’ જ્યોતિષશાસ્ત્રમાં શનિને અતિ મંદ ગતિનો ગ્રહ ગણ્યો છે. શનિ એક રાશિમાં સવા બેથી અઢી વર્ષ રહે છે. જ્યાં જ્યાં શનિનો પ્રભાવ હોય ત્યાં ત્યાં કાર્યની ગતિ અતિ ધીમી અને વિલંબિત હોય છે. શનિનું મૂળ કામ જ ગતિને અવગતિમાં ફેરવવાનું છે. શનિને સાદી ભાષામાં ગતિ અવરોધક (સ્પીડ બ્રેકર) કહી શકાય છે. કાળપુરુષની અંગ રચનામાં જન્મકુંડળીનું સાતમું સ્થાન મોટા આંતરડાનું છે.
જ્યારે શનિ અહીં બેસે ત્યારે મોટા આંતરડાની ગુદા તરફ મળ ધકેલવાની પ્રક્રિયાને મંદ બનાવે છે, ઉપરાંત તેમાં અવરોધ પેદા કરે છે. પરિણામ સ્વરૂપ આંતરડા અને ગુદા માર્ગ દ્વારા મળનો નિકાલ થતો નથી અને કચરો જમા થતો જ રહે છે જેને આપણે કબજિયાત તરીકે ઓળખીએ છીએ. જો શનિ પોતાની સ્વગૃહી કુંભ અને મકર રાશિમાં સાતમે બેસે અગર પ્લૂટો સાથે બેસે તો કબજિયાતનો રોગ યાતનાની ચરમસીમાએ પહોંચે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment