કુંડળીમાં લગ્ન(પ્રથમ), બીજા, ચોથા, સાતમા, આઠમા અને બારમા ઘર કે સ્થાનમાં મંગળ સ્થિત હોય ત્યારે મંગળદોષ કહેવાય છે. પરંતુ ગ્રહો અને તેની દૃષ્ટિ, રાશિઓ, મંગળનું સ્થાન, ગુણાંક વગેરેને ધ્યાનમાં રાખીને મંગળદોષ છે કે નહીં તે નક્કી થાય છે. કેટલીક સ્થિતિમાં સામાન્ય રીતે જોતાં મંગળ કે માંગલિક દોષ લાગે છે, પરંતુ વાસ્તવમાં મગળદોષ હોતો નથી. જાતક માંગલિક છે કે નહીં તે જાણવા આ દોષનો વાસ્તવિક અર્થ જાણવો જરૃરી છે.
પ્રાચીન ગ્રંથો જેવા કે બૃહત્યારાશરહોરાશાસ્ત્ર અને ભાવદાયિકા વગેરે અનુસાર વ્યક્તિ યા વ્યક્તિની જન્મપત્રિકામાં લગ્ન, ચોથે, સાતમે, આઠમે અને બારમા ભાવે મંગળ સ્થિત હોય તો તે માંગલિક દોષ થાય છે. આ નિયમ ઉત્તર ભારતમાં વધુ માન્ય છે. માન સાગરી, અગસ્ત્ય સંહિતા, વ્યક્તિ પારિજાત અનુસાર લગ્ન, બીજે, ચોથે, સાતમે, આઠમે અને બારમા ભાવે મંગળ હોય તો આવી જન્મકુંડળી માંગલિક માનવામાં આવે છે. આ નિયમ દક્ષિણ ભારતમાં વધુ માન્ય છે.
* જો કોઈ જાતક યા પારિજાતકની જન્મ પત્રિકામાં જો લગ્નમાં મંગળ હોય તો તે સાતમા ઘર પર સાતમી દૃષ્ટિથી દુષ્પ્રભાવ નાખશે અને તેનાથી જીવન સાથીને ખતરાની સંભાવના રહેશે.
* બીજા સ્થાનમાં મંગળ સ્થિત હોય તો જીવન સાથીના આયુષ્યને ખતરો રહેશે. કેમ કે સાતમાથી બીજું સ્થાન એ આઠમું અર્થાત્ આયુષ્યનું હશે.
* ચોથા ઘરમાં મંગળ હોય તો સાતમા (જીવનસાથી) ઘર પર ચોથા ઘરથી દૃષ્ટિ હશે.
* સાતમા ઘરમાં મંગળ હોય તો જીવનસાથીને ખતરો અને મંગળી બીશ ભાવ પર અષ્ટમ દૃષ્ટિ પાડશે.
* આઠમા ઘરમાં મંગળ હોય તો બીજા ઘર અર્થાત્ જીવન સાથીના આયુષ્ય સ્થાન પર સપ્તમ દૃષ્ટિ હશે.
* બારમે મંગળ હોય તો સાતમું ઘર પ્રભાવિત બનશે. અર્થાત્ ઉપરનાં છ ઘરોમાં મંગળ સ્થિત હોય તો સાથીને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે જોખમ થતાં માંગલિક દોષ માનવામાં આવે છે.
* ક્યારે મંગળદોષ નથી રહેતો?
* જો જન્મકુંડળીમાં મંગળ લગ્નમાં મેષ અથવા મકર રાશિ, બારમે ધન રાશિ, ચોથે વૃશ્ચિક રાશિ, સાતમે વૃષભ યા મકર રાશિ તથા આઠમે કુંભ યા મીન રાશિમાં સ્થિત હોય તો મંગળદોષ લાગતો નથી.
* જન્મકુંડળીમાં ચોથા, સાતમા અથવા બારમા ઘરમાં મેષ અથવા કર્કનો મંગળ હોય તો તે મંગળદોષ થતો નથી.
* જો વર-કન્યાની જન્મકુંડળીનો મેળાપક કરતાં ગુણ ૨૭ કે તેથી વધુ હોય તો માંગલિક દોષ થતો નથી.
* જો બારમા ઘરમાં મંગળ બુધ તથા શુક્રની રાશિઓમાં હોય તો મંગળદોષ થતો નથી.
* જો કુંડળીમાં લગ્ન (પ્રથમ), ચોથા, સાતમા, આઠમા, બારમા ઘરોમાં મંગળ તથા આ ઘરો (સ્થાનો) પર બીજાની કુંડળીમાં પ્રબળ પાપગ્રહ (રાહુ કે રાશિ, હોય તો માંગલિક દોષ થતો નથી.)
* જો બળવાન ગુરુ અને શુક્ર સ્વરાશિ યા ઉચ્ચના હોઈ લગ્ન (પ્રથમ) અથવા સાતમા ઘરમાં હોય તો મંગળદોષ લાગતો નથી.
* મંગળ વક્રી, નીચ કે અસ્ત હોય તો માંગલિક દોષ થતો નથી.
* જો મંગળ સ્વરાશિ યા ઉચ્ચનો હોય તો મંગળદોષ થતો નથી.
* કેન્દ્ર ત્રિકોણમાં શુભ ગ્રહ અને ત્રીજા, છઠ્ઠા અથવા અગિયારમા ઘરમાં પાપગ્રહ હોય તો સપ્તમેશ સપ્તમમાં હોય તો મંગળદોષ લાગતો નથી.
* જો મંગળ અને ગુરુ અથવા મંગળ રાહુ કે મંગળ ચન્દ્ર એક રાશિમાં હોય તો મંગળદોષનો ભંગ થઈ જાય છે.
* સાતમા ઘરમાં રહેલ મંગળ પર જો ગુરુની દૃષ્ટિ હોય તો માંગલિક દોષ સમાપ્ત થાય છે.
* વર અથવા કન્યાની કુંડળી માંગલિક હોય અને બીજાની કુંડળીમાં ૩, ૬, ૧૧મા ઘરોમાં રાહુ, મંગળ કે શનિ હોય તો મંગળદોષ સમાપ્ત થઈ જાય છે.
* જન્મકુંડળીના સાતમા ઘર પર ગુરુ દૃષ્ટિ કરતો હોય તો મંગળદોષ કપાઈ જાય છે.
* જો છોકરા યા છોકરીની ઉંમર ૨૮ કે તેથી વધુ વર્ષની થઈ ગઈ હોય તો મંગળ ગ્રહ પરત્વે વિચાર કરવાનો રહેતો નથી.
* લગ્ન પહેલાં (જેની કુંડળી માંગલિક છે) મંગળની દશા પસાર થઈ ગઈ હોય ત્યારે મંગળ વિચાર કરવાનો રહેતો નથી.
* મિથુન રાશિનો મંગળ સાતમા ઘરમાં બેઠો હોય અથવા જન્મપત્રિકા કર્ક લગ્નની હોય તો અને આઠમા ઘરનો મંગળ હોય યા કન્યા લગ્નમાં પ્રથમ ચોથા અને સાતમા ઘરમાં મંગળ હોય તો પણ મંગળદોષ ન રહેતાં તે શુભ ફળકારી હોય છે.
* વરનો માંગલિક દોષ કન્યાના દોષથી વધારે હોવો ઘટે એમ વિદ્વાનો માને છે.
* જો જન્મકુંડળી માંગલિક હોય તો લગ્નથી કલહ, બીજાથી કૌટુંબિક કલહ, ચોથેથી દૈનિક રોજગારમાં અંતરાય, આઠમેથી આયુષ્ય કષ્ટ, બારમેથી શય્યા કષ્ટ થાય છે. કેમ કે મંગળ, કલત્ર, અગ્નિ દુર્ઘટના અને વિગ્રહનો કારક હોય છે.
* અન્ય માંગલિક યોગ
* જે કન્યાની જન્મકુંડળીમાં લગ્ન (પ્રથમ), બીજા, ચોથા, સાતમા આઠમા ઘરમાં મંગળ હોય અને તેના પર શુભ ગ્રહની દૃષ્ટિ કે યોગ ન હોય તો તે કન્યાના વિધવા બનવાની શક્યતા રહે છે.
* પતિહન્તી કન્યા કે પત્નીહન્તા પુરુષની સાથે વિવાદ થવાથી વૈધવ્ય નામનો યોગ નષ્ટ થઈ જાય છે.
* લગ્ન કુંડળી કે નવાંશ કુંડળીમાં મંગળ ઉચ્ચ, સ્વગ્રહી કે કર્ક અથવા સિંહ રાશિનો હોય ત્યારે મંગળદોષ નુકસાનદાયક હોતો નથી.
* મંગળ જે રાશિમાં સ્થિત હોય. જો તેનો સ્વામી કેન્દ્ર યા ત્રિકોણમાં શુભ ગ્રહ થઈ બિરાજમાન હોય ત્યારે મંગળદોષ ઘટી જાય છે.
* બૃહત્યારાશરહોરાશાસ્ત્ર અન્વયે ૧, ૨, ૪, ૭, ૮, ૧૨મા ઘર કે સ્થાનમાં મંગળ હોય અને તેના પર શુુભ ગ્રહની દૃષ્ટિ કે યોગ ન હોય ત્યારે સ્ત્રી વિધવા અને પુરુષના વિધુર થવાની શક્યતા રહે છે. એટલે કે મંગળ ગ્રહ પર શુભ દૃષ્ટિ કે યુતિ કે અન્ય પ્રભાવથી શુભના આવી જાય ત્યારે મંગળદોષ રહેતો નથી. એટલે માંગલિક દોષનો ભંગ થઈ જાય છે.
* બંને કુંડળીઓ (વર અને કન્યા)માં લગ્ને (પ્રથમ), બીજે, ચોથે, સાતમે, આઠમે અને બારમે ઘરમાં મંગળ સાથે પાપી/ક્રૂર ગ્રહો (સૂર્ય, રાહુ, કેતુ, શનિની સંખ્યા સમાન હોય તો મેળાપક સામાન્ય, જો છોકરાના પાપગ્રહોની સંખ્યા વધારે હોય તો તેવો કુંડળી મેળાપક અતિ શુભ મનાય છે.
No comments:
Post a Comment